પાટણ જિલ્લામાં આજે 600 જેટલા આરોગ્ય કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓને લઈને ગાંધીનગર ખાતે પ્રતિક ધરણાંમાં જોડાશે. આ કારણે મમતા દિવસનાં રસીકરણ પ્રોગ્રામ માટે આરોગ્ય વિભાગને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
કરાર આધારિત કર્મચારીઓ પર ભરોસો
રાજ્યવ્યાપી આરોગ્ય કર્મચારી સંઘના આંદોલન અંતર્ગત પાટણ જિલ્લાના MPHS, FHS, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW) અને ફિમેલ હેલ્થ વર્કર (FHW / ANM) સહિત 600 જેટલા કર્મચારીઓ આજે માસ સીલ પર ઉતરશે. આરોગ્ય વિભાગે કાયમી કર્મચારીઓની ગેરહાજરીને ધ્યાનમાં રાખીને કરાર આધારિત કર્મચારીઓ દ્વારા રસીકરણ પ્રોગ્રામ ચલાવવાનો નિર્ણય લીધો છે.
આરોગ્ય વિભાગ મૂંઝવણમાં
આંદોલનના કારણે મમતા દિવસના રસીકરણ અભિયાન પર અસર પડી શકે છે. બાળ આરોગ્ય કેન્દ્રો પર રસી આપવા માટેની વ્યવસ્થા ખોરવાઈ શકે છે, કારણ કે 600 જેટલા કર્મચારીઓ એકસાથે માસ સીએલ પર ઉતરતાં આરોગ્ય તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. વિષ્ણુભાઈ પટેલે જણાવ્યું કે, જો મોટાભાગના કર્મચારીઓ ગેરહાજર રહેશે, તો કરાર આધારિત કર્મચારીઓ મારફતે કામગીરી આગળ વધારાશે.
અચોક્કસ મુદતની હડતાળની ચીમકી
આરોગ્ય કર્મચારી મહા સંઘ ના પાટણ જિલ્લા પ્રમુખ વીરાભાઈ આહીર એ જણાવ્યું કે, વિવિધ પડતર માગણીઓ માટે આજે ગાંધીનગર ખાતે પ્રતિક ધરણાં કરવામાં આવશે. જો આગામી 10 દિવસમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.
આંદોલનને લઈને આરોગ્ય વિભાગની કામગીરી કેવી અસર પામશે અને સરકાર શું પગલાં ભરશે, તે જોવાનું રહેશે.